ચૈતર વસાવા ભાજપમાં જોડાશે ? મને જેલ ભેગો કર્યો પણ ….ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 લોકો આપમાં જોડાયા

By: nationgujarat
08 Nov, 2025

ગુજરાતમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય હડકંપ મચી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાને નિશાન બનાવીને રાજકીય ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. દાવો કરાયો છે કે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે આયોજિત સભામાં ભાજપના 5000 અને કોંગ્રેસના 3000 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ બન્ને પક્ષોને ‘રામ રામ’ કરીને AAPનો ખેસ ધારણ કર્યો છે.

ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: 30 વર્ષ જૂના નેતાઓએ છોડ્યો સાથ

આ જંગી જોડાણથી છોટાઉદેપુરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના સ્થાનિક સંગઠનોમાં હડકંપ મચી ગયો છે. આથાડુંગરીના સરપંચે 20 વર્ષ પછી ભાજપનો સાથ છોડ્યો. જ્યારે ભંગિયાભાઈ સરપંચે 30 વર્ષ પછી કોંગ્રેસ છોડીને AAPમાં જોડાતા મોટું ભંગાણ સર્જાયું છે.

સભામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. ચૈતર વસાવાએ મંચ પરથી આદિવાસી સમાજનો ‘હોબોબો’ નામનો દેકારો મચાવવાની પદ્ધતિ અપનાવી ભાજપના લોકોને ભગાડવા માટે આહવાન કર્યું હતું, જે દર્શાવે છે કે જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે.

આદિવાસીઓની જમીન બચાવવાનો હુંકાર

રાજકીય શક્તિ પ્રદર્શનની સાથે ચૈતર વસાવાએ આદિવાસીઓના અધિકારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આંબાડુંગરની આસપાસના ગામોને વિસ્થાપિત કરવાના સરકારના પ્રયત્નોથી આદિવાસી સમાજને બચાવવા માટે મેદાને પડવાનો હુંકાર કર્યો છે. સરકાર હાઈડ્રોપ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટો લાવીને નસવાડીના 14 ગામો તેમજ આંબાડુંગરના 24 ગામો માં આદિવાસીઓની જમીન છીનવવાના પ્રયાસ કરી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી કે, “આદિવાસીઓની જમીનો નહિ છીનવવા દેવામાં આવે.”

ભાજપમાં જોડાવાનો ઈન્કાર, મનસુખ વસાવા પર કટાક્ષ

ચૈતર વસાવાએ આ સભામાંથી મુખ્યમંત્રી અને ભાજપ સંગઠન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, મારા વિસ્તારમાં વડાપ્રધાન આવે છે છતાં હું ભાજપમાં જોડાવાનો નથી. મને જેલમાં પૂરીને માનસિક રીતે તોડવાના પ્રયત્નો થયા પણ હું ઝૂક્યો નથી. તેમણે 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવા પર કટાક્ષ કર્યો કે તેઓ પોતાના ગામનો રસ્તો બનાવી શકતા નથી. “અમે સર્કસના ટાઇગર બનવા માંગતા નથી,” તેમ તેમણે કહ્યું.

ડમી CM અને Super CM ના આક્ષેપ

વસાવાએ આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજ નારાજ ન થાય તે માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા નથી. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ‘ડમી’ બની ગયા છે અને હર્ષ સંઘવી ‘સુપર સીએમ’ તરીકે કામગીરી કરી રહ્યા છે.

ચૂંટણીઓ મોડી પાડવાનું કાવતરું

તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધને ઠારવા માટે SIR લાવીને ચૂંટણીઓ લેટ કરવા આવી રહી છે. વહીવટદારોને શાસન આપવા માટે આખું કાવતરું ઘડ્યું છે.


Related Posts

Load more